Saturday, May 17, 2025
More

    આગલી વસ્તી ગણતરીમાં જાતિની પણ થશે ગણના, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી 

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગામી વસતી ગણતરીમાં જાતિની ગણતરી પણ કરવાનો નિર્ણય લીધો છે. રાજનીતિક વિષયોની કેબિનેટ સમિતિએ આ બાબતની સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેની ઘોષણા બુધવારે (30 એપ્રિલ) યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં કરવામાં આવી. 

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી રાજનીતિક વિષયોની કેબિનેટ સમિતિએ (CCPA) નિર્ણય લીધો છે કે જાતિઓની ગણનાને આવનારી જનગણનામાં સામેલ કરવામાં આવે. આ એ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો અને મૂલ્યોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. 

    તેમણે ઉમેર્યું કે, “અમુક રાજ્યોએ જાતીય સરવે પોતાના આધાર પર કર્યા છે, પણ સામાજિક માળખાને સમજવા માટે એક સમગ્ર દૃષ્ટિકોણ જરૂરી છે. CCPAએ નક્કી કર્યું છે કે હવે જાતિઓની ગણતરી આગલી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે, અલગ સરવે હેઠળ નહીં.”

    કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, તેમણે ક્યારેય પણ જાતીય જનગણનાને ઈમાનદારીથી ન અપનાવી અને માત્ર તેનો રાજકીય હથિયાર તરીકે જ ઉપયોગ કર્યો.