પંજાબમાં બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ (Sunny Deol), રણદીપ હુડ્ડા (Randeep Hooda), વિનીત કુમાર સિંઘ, દિગ્દર્શક ગોપીચંદ માલિનેની અને નિર્માતા નવીન યેર્નેની વિરુદ્ધ ઈસાઈઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ નાખીને FIR દાખલ કરાવી છે. આ FIR ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 299 હેઠળ નોંધવામાં આવી છે.
વિવાદનું કારણ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જાટ’ છે. આ ફિલ્મમાં રણદીપ હુડાનું પાત્ર રણતુંગા ચર્ચમાં પ્રવેશે છે અને ખ્રિસ્તની મૂર્તિ સામે ઊભું રહીને ક્રૂસિફિક્શનની નકલ કરતું દેખાય છે. આ દ્રશ્યમાં ચર્ચની અંદર હિંસા અને ધમકીઓ દર્શાવવામાં આવી છે, જેને પંજાબના ખ્રિસ્તી સમુદાયે અપમાનજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.
જલંધરના ફોલ્ડીવાલ ગામના રહેવાસી વિકલાવ ગોલ્ડની ફરિયાદના આધારે આ કેસ નોંધાયો છે. ખ્રિસ્તી સમુદાયે આ દ્રશ્યને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
પ્રદર્શનકારીઓએ ‘રણદીપ હુડા મુર્દાબાદ’ અને ‘જાટ ફિલ્મ બંધ કરો’ જેવા નારા પણ લગાવ્યા હતા. ઉપરાંત 16 એપ્રિલે પ્રદર્શનમાં FIR નોંધવા માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, નહીંતર પ્રદર્શનકારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે 18 એપ્રિલ, 2025ના રોજ FIR નોંધવામાં આવી છે.