Monday, March 17, 2025
More

    ‘નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની ન મળી કોઈ પણ લિંક’: કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિનો અહેવાલ, જસ્ટિસ ટ્રુડોએ ફેલાવ્યું હતું જુઠ

    કેનેડાના (Canada) નિવર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justine Truduae) ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જરની (Hardeep Singh Nijjar Murder) હત્યાને લઈને ભારત પર આરોપ લગાવ્યા હતા જેને કેનેડાના જ એક આયોગે ફગાવી દીધા છે. આયોગે કહ્યું છે કે તેમને ભારત (India) વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

    કેનેડાની વિદેશી હસ્તક્ષેપ સમિતિના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. આ કેનેડિયન સમિતિના અહેવાલ અનુસાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં કોઈ વિદેશી રાજ્ય સાથે કોઈ ચોક્કસ સંબંધ સાબિત થઇ શક્યો નથી.

    આ આયોગના કમિશનરે જણાવ્યું હતું કે કેનેડિયન ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કેસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યા કોઈ ગેંગ અથવા ક્રિમીનલ સાથે સંબંધિત હતી. આ મામલામાં ભારતની સંડોવણીની કોઈ પણ લિંક મળી નથી.

    આયોગે એ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા કે ટ્રુડોએ કોઈ પુરાવા વિના કેનેડિયન સંસદમાં આ મુદ્દો કેમ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રિપોર્ટના પાના નંબર 103 પર સ્પષ્ટપણે જણાવાયું છે કે, એવી અફવાઓ હતી કે નિજ્જરના મૃત્યુના સંબંધ કોઈક રીતે ભારત સરકાર સાથે છે પરંતુ કેનેડાની ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું કે આ હત્યા ગેંગ અથવા ગુના સંબંધિત હતી અને વડા પ્રધાનને તેના વિશે જાણ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે સપ્ટેમ્બર 2023માં જસ્ટિન ટ્રુડોએ એવો દાવો કર્યો હતો કે કેનેડા પાસે વિશ્વનીય પુરાવા છે કે બ્રિટીશ કોલંબિયામાં થયેલ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. પરંતુ કેનેડાના આયોગના 123 પાનાના રિપોર્ટમાં આ દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. જસ્ટિન ટ્રુડોના આ આરોપો બાદ ભારત-કેનેડા સંબંધોમાં ઘણો તણાવ આવ્યો હતો.