Saturday, May 17, 2025
More

    બિહારના બક્સરમાં મલ્લિકાર્જુન ખડગેની જનસભામાં ઊડ્યાં કાગડા, લોકોની ભીડ એકઠી ન થતાં કોંગ્રેસે જિલ્લાધ્યક્ષને જ કરી દીધા સસ્પેન્ડ

    20 એપ્રિલે બક્સરમાં (Buxar) કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો (Mallikarjun Kharge) એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દલસાગર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્યક્રમમાં સંખ્યા ન થતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. મનોજ કુમાર પાંડેને (Manoj Kumar Pandey) નિલંબિત કરવામાં આવ્યા છે.

    તેમના પર આ કાર્યક્રમ દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ હતો. ખડગેની સભામાં ઓછી ભીડ ભેગી થવા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીનું કહેવું છે કે પાંડેએ ખડગેના કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ્ય રીતે કામ કર્યું ન હતું.

    આ મામલે કાર્યાલય સચિવ ઉમેશ પ્રસાદ સિંઘે પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, “બેઠકની તૈયારીઓ ખૂબ જ નબળી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન હતી. કાર્યક્રમમાં સંકલનનો અભાવ હતો. જેના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાતની ગરિમાને ઠેસ પહોંચી.”

    અહેવાલ અનુસાર જિલ્લા પ્રમુખે દાવો કર્યો હતો કે 40 હજારની ભીડ ભેગી કરવામાં આવશે. કાર્યક્રમમાં 25 હજાર ખુરશીઓ પણ લગાવી હતી. પરંતુ ખડગે સ્ટેજ પર પહોંચ્યા ત્યાં સુધીમાં ફક્ત 2 હજાર લોકો જ હાજર હતા. ગ્રાઉન્ડમાં 90 ટકા બેઠકો ખાલી રહી. ખડગે પણ આ પરિસ્થિતિથી ગુસ્સે દેખાયા હતા. જેના કારણે મનોજ કુમારને પદ પરથી નિલંબિત કરવામાં આવ્યા છે.