ઉત્તરાખંડના નૈનીતાલમાં હિંદુ સગીરા પર બળાત્કારના આરોપી 65 વર્ષીય મોહમ્મદ ઉસ્માનના ઘર પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસને ઉસ્માનના ઘર પર નોટિસ છીપકાવી છે અને ત્રણ દિવસની અંદર જવાબ રજૂ કરવા માટેનું જણાવ્યું છે. આરોપી ઉસ્માનને પહેલાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના ગેરકાયદે મકાનને ધ્વસ્ત કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે, તેનું મકાન વન વિભાગની જમીન પર બનાવવામાં આવેલું હતું. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગેરકાયદે ઊભા થયેલા મકાનને જલ્દીથી ધ્વસ્ત કરી નાખશે. સ્થાનિક પ્રશાસને ‘ઉત્તર પ્રદેશ નગરપાલિકા અધિનિયમ 1916’ હેઠળ આરોપીને નોટિસ ફટકારી છે.
નોટિસમાં કહેવાયું છે કે, ત્રણ દિવસની અંદર ગેરકાયદે બાંધકામને જાતે હટાવી લો નહીં તો કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને મકાન ધ્વસ્ત કરવામાં આવશે. નોંધનીય છે કે, ઉસ્માનની ધરપકડ બાદ નૈનીતાલમાં મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને નારા લગાવવા લાગ્યા હતા. હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.