પાકિસ્તાનની સેનાએ 24 એપ્રિલ 2025ના રોજ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં ફરજ પર હાજર આંતરરાષ્ટ્રીય સરહદે ભારતીય સીમા સુરક્ષા દળના (BSF) જવાન કોન્સ્ટેબલ પી.કે. સિંઘને અટકાયતમાં લઈ લીધા હતા. 182મી બટાલિયનના આ જવાન યુનિફોર્મમાં અને સર્વિસ રાઈફલ સાથે સરહદ નજીક ખેડૂતોની સુરક્ષા માટે ફરજ પર હતા. જ્યાંથી ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ જતાં તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
અહેવાલ અનુસાર પી.કે. સિંઘ બપોરે તડકાથી બચવા તેઓ ઝાડની છાંયમાં આરામ કરવા ગયા, જ્યાં અજાણતાં તેઓ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયા. પાકિસ્તાન રેન્જર્સે તેમને તાત્કાલિક અટકાયતમાં લીધા. BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે જવાનની મુક્તિ માટે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે, જેમાં ભારતે આ ઘટનાને અજાણતાં થયેલી ભૂલ ગણાવી છે.
ત્યારે હવે BSFના જવાનને અટકાયતમાં લીધા બાદ તેમને છોડાવવા માટે બંને દેશોના બળો વચ્ચે ‘ફ્લેગ મીટીંગ’ ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ ઘટના અસામાન્ય નથી આ પહેલાં પણ બંને પક્ષો વચ્ચે આવી ઘટનાઓ બની ચૂકી છે.
નોંધનીય છે કે પહલગામ હુમલાને લઈને ભારતે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, રાજદ્વારી સંબંધો ઘટાડવા, અટારી સરહદ બંધ કરવી અને વેપાર પર પ્રતિબંધ મૂકવા સહિતનો વળતો જવાબ આપ્યો હતો.