Friday, May 16, 2025
More

    ગભરાટમાં ભારત સાથેની સરહદ પર દોડધામ કરતી રહી પાકિસ્તાની સેના, ત્યાં બલૂચિસ્તાનમાં સેનાના વાહન પર ત્રાટક્યા BLA વિદ્રોહીઓ: હુમલામાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત

    બલૂચ લિબરેશન આર્મીએ (BLA) 25 એપ્રિલ, 2025ના રોજ બલૂચિસ્તાન પ્રાંતના નોશકી વિસ્તારમાં પાકિસ્તાની સેના પર ઘાતક હુમલો કર્યો, જેમાં 10 સૈનિકોનાં મોત થયાં. આ હુમલામાં BLAએ રિમોટ કન્ટ્રોલ (IED) (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) દ્વારા સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું.

    BLAએ આ હુમલાની જવાબદારી લેતું નિવેદન જાહેર કર્યું અને જણાવ્યું છે કે તેમના હુમલામાં 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં વિસ્ફોટ અને ત્યારબાદ ધુમાડો ઉડવાનાં દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે.

    બલૂચ લિબરેશન આર્મી એક બળવાખોર જૂથ છે, જે બલૂચિસ્તાનની આઝાદી માટે દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, નોશકીમાં થયેલો આ હુમલો BLAની સુયોજિત રણનીતિનો ભાગ હતો.

    હુમલાખોરોએ રિમોટ કંટ્રોલ આઈઈડીનો ઉપયોગ કરીને સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેના કારણે તે સંપૂર્ણ રીતે નષ્ટ થયું. BLAએ દાવો કર્યો છે કે આ હુમલો તેમના ‘ઓપરેશન ઝીર-પાહ’નો ભાગ હતો, જેનો હેતુ પાકિસ્તાની સેનાને નુકસાન પહોંચાડવાનો છે. હુમલા બાદ BLAએ ચેતવણી આપી કે આવા હુમલાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

    પાકિસ્તાની સેના અને સરકારે હજુ સુધી આ હુમલા અંગે વિગતવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, અહેવાલો સૂચવે છે કે આ ઘટનાએ બલૂચિસ્તાનમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પાકિસ્તાન ભારતે લાદેલા કડક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ હુમલાએ તેની પરિસ્થિતિ વધુ કફોડી બનાવી છે.