અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. શનિવારે (8 ફેબ્રુઆરી) ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. સવારના 11:30 કલાકની સ્થિતિ અનુસાર, આ બેઠક પર ભાજપ ઉમેદવાર સતત આગળ વધી રહ્યા છે. ભાજપના ચંદ્રભાનુ પાસવાન 30 હજારની લિડથી આગળ વધી રહ્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદ સતત પાછળ દેખાઈ રહ્યા છે.
ECI અનુસાર, 11:30 કલાકની સ્થિતિ મુજબ ભાજપ ઉમેદવાર 31063 મતથી સપા ઉમેદવાર કરતાં આગળ ચાલી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હમણાં સુધીમાં 11 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં તો લાડુ બનાવવા માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત જીતની મોટી-મોટી વાતો કર્યા બાદ હવે સપા સાસંદ અવધેશ પ્રસાદ ઘરમાં ભરાઈને બેસી ગયા છે. મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે તેમણે આ પરિણામોનું ઠીકરું પણ ભાજપ પર ફોડ્યું છે. તેમણે કહ્યું છે કે, “ભાજપના ગુંડાઓએ બુથ પર કબજો કરી લીધો છે.” તેઓ ઘરની બહાર નીકળવાની પણ ના પાડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.