વૃંદાવનના પ્રખ્યાત બાંકે બિહારી મંદિરે (Vrindavan Banke Bihari temple) મુસ્લિમ સમુદાય સાથે વ્યવહાર બંધ કરવાની માંગને સ્પષ્ટપણે નકારી કાઢી છે. મંદિરના પૂજારી અને વ્યવસ્થાપન સમિતિના સભ્ય જ્ઞાનેન્દ્ર કિશોર ગોસ્વામીએ આ માંગણીને વ્યવહારીક રીતે ખોટી ગણાવી. તેમણે કહ્યું કે વૃંદાવનમાં વર્ષોથી હિંદુઓ અને મુસ્લિમો શાંતિ અને ભાઈચારામાં રહે છે.
જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા (Pahalagam Terror Attack) બાદ, કેટલાક હિંદુ સંગઠનોએ વૃંદાવન અને મથુરામાં પ્રદર્શન કર્યા હતા. આ સંગઠનોએ હિંદુ યાત્રાળુઓ અને દુકાનદારોને મુસ્લિમ સમુદાય સાથે વ્યવહાર ન કરવા અપીલ કરી હતી. ઉપરાંત, મુસ્લિમ દુકાનદારોને તેમની દુકાનો પર માલિકનું નામ લખવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેમની ઓળખ થઈ શકે.
કાશી વિદ્વત પરિષદના સભ્ય નાગેન્દ્ર મહારાજે કહ્યું હતું કે, “અમે મુસ્લિમ દુકાનોની ઓળખ કરી છે. હિંદુ દુકાનદારોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની સાથે વ્યવસાય ન કરે અથવા તે સમુદાયના લોકોને નોકરી ન આપે.”
પરંતુ મંદિર પ્રશાસને આ માંગણીને નકારી કાઢી. મંદિરના પૂજારી અને મેનેજમેન્ટ કમિટીના સભ્ય જ્ઞાનેન્દ્ર કિશોર ગોસ્વામીએ સોમવારે (28 એપ્રિલ 2025) જણાવ્યું હતું કે, “આ માંગ વ્યવહારુ નથી. મુસ્લિમ કારીગરો અને વણકરો અહીં બાંકે બિહારી માટે કપડાં વણે છે. ઘણા મુસ્લિમ ભક્તો પણ મંદિરમાં દર્શન માટે આવે છે.” તેમણે કહ્યું કે દેવતા માટે મુગટ અને બંગડીઓ જેવી વસ્તુઓ પણ મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. ગોસ્વામીએ કહ્યું કે મોટાભાગના સ્થાનિક લોકો એવું પણ માને છે કે મંદિરમાં તમામ સમુદાયોનું યોગદાન ચાલુ રહેવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ મંદિર પ્રશાસને બીજો એક પ્રસ્તાવને ફગાવી દીધો હતો જેમાં મુસ્લિમ વણકરો દ્વારા બનાવવામાં આવતા ભગવાન કૃષ્ણના વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે સમયે મંદિરે કહ્યું હતું કે કપડાંની પવિત્રતા અને શુદ્ધતા સૌથી મહત્વપૂર્ણ છે. જો મુસ્લિમ કારીગરો શ્રદ્ધાથી કપડાં બનાવે છે, તો તેમના કપડાં ખરીદવામાં કોઈ સમસ્યા નથી.