Friday, May 23, 2025
More

    ઉત્તરાખંડની જે ટનલમાં ફસાયા હતા 41 શ્રમિકો, ત્યાં જ બન્યું બાબા બૌખનાગનું ભવ્ય મંદિર: CM ધામીએ કરી પૂજા-અર્ચના

    16 એપ્રિલના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલક્યારા ટનલ નજીક નવનિર્મિત બાબા બૌખનાગ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ હાજરી આપી અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.

    કાર્યક્રમ વિશે મુખ્યપ્રધાન પુષ્કર સિંઘ ધામીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “સિલક્યારા ટનલ પાસે બાબા બૌખનાગના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન બાબા બૌખનાગની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવામાં આવી હતી અને રાજ્યના તમામ લોકોના સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.”

    વર્ષ 2023માં દિવાળીની સવારે કાટમાળને કારણે 41 કામદારો નિર્માણાધીન સિલક્યારા ટનલમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરીને 17 દિવસની આકરી કામગીરી બાદ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

    તે સમયે પણ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી ઘટનાસ્થળ પર સતત નજર રાખી રહ્યા હતા અને તેમણે આ સ્થળે કાયમી મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. હવે આ વચન પૂર્ણ થયું છે. ટનલ પાસે બાબા બૌખનાગ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.