Monday, May 19, 2025
More

    75 વર્ષ સુધી જે તંબૂમાં વિરાજમાન હતા રામલલા, એ સિંહાસન સચવાશે મ્યુઝિયમમાં: રામ મંદિર આંદોલનની યાદોને જીવંત રાખવા ટ્રસ્ટે લીધો નિર્ણય

    શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે (Shri Ram Janmbhoomi Teerth Kshetra) રામ મંદિર આંદોલનની ઐતિહાસિક યાદોને અમર રાખવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રામલલાનો પવિત્ર તંબૂ જેમાં તેઓ 1949થી 2024 સુધી વિરાજમાન હતા તે અને તેમનું સિંહાસન હવે રામ મંદિર પરિસરમાં બનનાર મ્યુઝિયમમાં (Museum) સ્થાન પામશે. આ મ્યુઝિયમ રામ મંદિર આંદોલનના સંઘર્ષ, બલિદાન અને ભક્તોની આસ્થાની ગાથાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે.

    અહેવાલ અનુસાર આ તંબૂ અને સિંહાસન હાલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં મંદિર પરિસરમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ ઉપરાંત, આંદોલન સાથે જોડાયેલા દસ્તાવેજો, ચિત્રો, કારસેવકોની યાદગાર વસ્તુઓ અને અન્ય ઐતિહાસિક સામગ્રી પણ મ્યુઝિયમમાં સામેલ કરવામાં આવશે.

    આ પગલું ભક્તોને રામ મંદિરના નિર્માણની લાંબી યાત્રા અને તેના સાંસ્કૃતિક-ધાર્મિક મહત્વને સમજવાની તક આપશે. અયોધ્યાનું રામ મંદિર લાખો ભક્તોની આસ્થા અને સમર્પણનું પ્રતીક છે. આ મ્યુઝિયમ રામ ભક્તિની વાર્તા, આંદોલનના સંઘર્ષ અને ઐતિહાસિક ક્ષણોને જીવંત રાખશે, જેથી નવી પેઢી આ વારસાને ગૌરવ સાથે જાણી શકે.

    નોંધનીય છે કે 3 મેના રોજ મંદિર નિર્માણ સમિતિની બેઠક દરમિયાન ટ્રસ્ટે આ નિર્ણય લેવાયો હતો. મંદિર સંકુલમાં તમામ કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી છે.