Wednesday, March 5, 2025
More

    ‘મિયાં સમુદાયને ન આપો દુકાનો…હિંદુ તહેવારમાં કેમ આવશે એ?’: આસામના મંત્રી અશોક સિંઘલ

    આસામના (Assam) આરોગ્ય મંત્રી અશોક સિંઘલે (Ashok Singhal) એક નિવેદન આપ્યું હતું જેને લઈને બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDFએ તેમની સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો તથા મંત્રી પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

    મંત્રી અશોક સિંઘલે તેમના મતવિસ્તાર ઢેકિયાજુલીમાં એક સભા દરમિયાન કહ્યું હતું કે મિયાં સમુદાયને હિંદુ તહેવારો દરમિયાન દુકાનો ચલાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે તેમને આ સમુદાય માટે કોઈ સમર્થન નથી, તેમણે લોકોને અપીલ કરી કે તમે તેમની સાથે રહો પરંતુ નિશ્ચિત અંતર બનાવીને રાખો.

    વાયરલ થયેલા એક વિડીયોમાં સિંઘલને એમ કહેતા સાંભળી શકાય છે કે, “મિયાં લોકોને દુકાનો ન આપો, આપણા યુવાનોને આપો. મિયાં આપણા તહેવારોમાં કેમ આવશે? આપણા યુવાનો ઈદ પર જતા નથી… હું તેમના સમર્થનમાં નથી. જો તમે તેમની સાથે ભળી જાઓ છો, તો હું તમારી સાથે નથી.”

    આ મામલે AIUDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો અને મંત્રી પર તેમના પદના શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇસ્લામે પ્રશ્ન ઉઠાવ્યો કે શું સિંઘલ મિયાં સમુદાયના લોકો વસતા વિસ્તારોમાં સરકારી યોજનાઓ પણ બંધ કરશે.

    તેમણે મંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષે આ દરખાસ્તને નકારી કાઢી હતી, તેમણે કહ્યું હતું કે આ દરખાસ્ત માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરતી નથી. આસામમાં, ‘મિયાં’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે બંગાળી ભાષી સ્થળાંતરિત મુસ્લિમ સમુદાય માટે અપમાનજનક શબ્દ તરીકે થાય છે, જે રાજ્યમાં એક કરોડથી વધુ વસ્તી ધરાવે છે.