Sunday, May 18, 2025
More

    કાશ્મીરમાં આતંકનો સફાયો કરવાનું કામ તેજ ગતિએ ચાલુ: પુલવામા, શોપિયાંમાં વધુ ત્રણ આતંકવાદીઓનાં ઘર ઉડાવી દેવાયાં

    22 એપ્રિલે પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં (Pahalgam Terrorist attack) હિંદુઓ સહિત 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે સરકારે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું, જેને લઈને પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે 25 એપ્રિલે પ્રશાસને 2 આતંકવાદીઓનાં ઘર તોડી પાડ્યાં હતાં.

    હવે સામે આવેલ અહેવાલ અનુસાર બીજા 3 આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી શોપિયાં, કુલગામ અને પુલવામા જિલ્લાઓમાં કરવામાં આવી. 24 એપ્રિલ 2025ના રોજ એલઈટીના બે આતંકવાદીઓ, આદિલ હુસૈન ઠોકર અને આસિફ શેખના ઘરો વિસ્ફોટ દ્વારા નષ્ટ કરાયાં.

    ત્યારબાદ શોપિયાંના ચોટીપોરા ગામમાં શાહિદ અહમદ કુટ્ટેનું ઘર, કુલગામમાં એક અન્ય ઘર અને પુલવામાના કાચીપોરા વિસ્તારમાં 2023થી સક્રિય હારિસ અહમદનું ઘર તોડી પાડવામાં આવ્યું. આ બધા આરોપીઓ સામે આતંકવાદી ગતિવિધિઓના અનેક કેસ નોંધવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે 24 એપ્રિલે અનંતનાગ પોલીસે પહલગામ હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ થોકર અને બે અન્ય આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય બે શંકાસ્પદ – હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ભાઈ ઉર્ફે તલ્હા ભાઈ – પાકિસ્તાની નાગરિક હતા અને તેમની માહિતી માટે ₹20 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.