Sunday, May 18, 2025
More

    ‘હવે પછી કોઈ પણ આતંકવાદી કૃત્યને ભારત વિરુદ્ધ યુદ્ધ માનવામાં આવશે’: મોદી સરકારની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું– તેનો જવાબ પણ એ જ રીતે આપીશું

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે મોદી સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપી દીધી છે. સરકારે કહ્યું છે કે, જો ભવિષ્યમાં ભારત પર કોઈ પણ આતંકી હુમલો થશે તો તેને એક્ટ ઑફ વોર એટલે કે યુદ્ધ માનવામાં આવશે.

    આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આતંકી હુમલાનો જવાબ પણ યુદ્ધ તરીકે આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના આધારે આ વિશેની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. આ ચેતવણીનો અર્થ એ છે કે, કોઈપણ આતંકી હુમલા બાદ ભારત ઇઝરાયેલની જેમ કોઈપણ ચેતવણી આપ્યા વગર પાકિસ્તાન પર હુમલો કરી શકશે.

    નોંધનીય છે કે, આ પહેલાં ઑપરેશન સિંદૂરના પ્રથમ પ્રહારમાં ઠાર થયેલા મોટા આતંકીઓના નામાં પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતમાં થયેલા વિવિધ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ પણ સામેલ હતા. હાલ પણ ઑપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને તે હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.