Saturday, May 17, 2025
More

    બ્રાહ્મણો પરની ટિપ્પણી પર વિવાદ બાદ અનુરાગ કશ્યપે કરી વધુ એક પોસ્ટ: માફીના નામે કરી ગોળગોળ વાતો

    બૉલીવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પરની ટિપ્પણી પર વધુ એક પોસ્ટ કરીને માફી માંગવાની વાત કરી છે. જોકે, માફીના નામે તેણે ગોળગોળ વાતો કરી હતી અને બ્રાહ્મણો પર જ બધુ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુ એક પોસ્ટ કરીને કહ્યું છે કે, તે માફી માંગી રહ્યો છે, પરંતુ તે પોસ્ટ માટે નહીં પણ એક લાઇન માટે કે જેના કારણે નફરત ફેલાવવામાં આવી રહી છે.

    તેણે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ફરી એક વખત બ્રાહ્મણોને ‘સંસ્કારના કિંગપીન’ ગણાવીને કહ્યું છે કે, કોઈ ટિપ્પણીના કારણએ તેમના દ્વારા કોઇની દીકરીને બળાત્કારની ધમકીઓ ના આપવી જોઈએ. વિક્ટિમ કાર્ડ ખેલતા અનુરાગે પોતાના પરિવાર અને મિત્રોને ધમકીઓ મળતી હોવાની વાતો કરી હતી.

    તેણે કહ્યું કે, “કહેલી વાત પાછી ન લઈ શકાય અને હું લઈશ પણ નહીં. જે ગાળો આપવી છે એ આપો. મારા પરિવારે ન કઈ કહ્યું છે અને ન કઈ કહે છે. તેથી જો મારી પાસેથી માફી જોઈએ તો લઈ લો. પરંતુ, મહિલાઓને બક્ષી દો બ્રાહ્મણ લોકો. એટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, માત્ર મનુવાદમાં નથી. તમે ક્યાં બ્રાહ્મણ છો એ નક્કી કરી લો, બાકી મારા તરફથી માફી.”

    નોંધનીય છે કે, ‘ફુલે’ ફિલ્મના વિલંબને લઈને અનુરાગ કશ્યપે ઉકળી ઊઠીને બ્રાહ્મણો પર પ્રહારો શરૂ કર્યા હતા અને ઠપકો મળતા તેણે બ્રાહ્મણ સમુદાયના લોકો પર પેશાબ કરવાની વાત પણ કરી દીધી હતી. તેની આ ટિપ્પણીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે અને હવે તેણે માફી માંગવાના નામે ગોળગોળ વાતો કરીને ફરીથી ટાર્ગેટ કરવાનું કામ કર્યું છે.