Sunday, March 23, 2025
More

    ‘31 માર્ચ, 2026 પહેલાં સંપૂર્ણપણે નાબૂદ કરીશું નક્સલવાદ’: સુરક્ષાદળોએ છત્તીસગઢમાં 31 નક્સલીઓને ઠાર માર્યા બાદ અમિત શાહ

    છત્તીસગઢ સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી હાથ ધરીને 31 નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સેનાના જવાનોની વીરતાની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પલેફોર્મ X પર નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની વાત કરી છે.

    તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે, “નક્સલમુક્ત ભારત બનાવવાની દિશામાં સુરક્ષાદળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ ઑપરેશનમાં 31 નક્સલીઓને ઠાર કરવાની સાથે મોટી માત્રામાં હથિયારો આને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ વીરોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું મારા સંકલ્પને પણ પુનરાવર્તિત કરું છું કે, 31 માર્ચ 2026 પહેલાં આપણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખીશું, જેથી દેશના કોઈપણ નાગરિકને તેના કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે.”