Thursday, May 1, 2025
More

    ‘લડાઈ સમાપ્ત થઈ નથી, એક-એક આતંકવાદીને પકડી-પકડીને મારીશું’: પહલગામ આતંકી હુમલા પર બોલ્યા ગૃહમંત્રી શાહ

    પહલગામ આતંકવાદી હુમલા વિશે ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે અને જે આતંકવાદીઓ જવાબદાર છે તેમને પકડી-પકડીને દંડ આપવામાં આવશે. 

    દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ગૃહમંત્રી શાહે કહ્યું, “આજે હું દેશને જણાવવા માગું છું કે નેવુંના દાયકાથી કાશ્મીરમાં જેઓ આતંકવાદ ચલાવી રહ્યા છે તેમની વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ છે. આપણે મજબૂતીથી લડાઈ લડ્યા છીએ અને આજે કોઈ એમ ન સમજી લે કે આપણા 27 નાગરિકોના જીવ લઈને આ લડાઈ જીતી લેશે.”

    તેમણે ઉમેર્યું, “હું આતંક ફેલાવનારાઓને કહેવા માગું છું કે આ લડાઈનો અંત નથી. દરેકને પકડી-પકડીને જવાબ પણ મળશે. જવાબ લેવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં સ્થિત પર્યટન સ્થળે ઘૂસી આવેલા ઇસ્લામી આતંકવાદીઓએ પર્યટકોમાંથી હિંદુઓને નામ પૂછીને, કલમા પઢવાનું કહીને મારી નાખ્યા હતા. ઘટનામાં કુલ 26 વ્યક્તિઓના જીવ ગયા હતા. ઘટના બાદ દેશભરમાં આક્રોશ છે અને આતંકવાદને પોષતા પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની માંગ ઉઠી રહી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ સેનાને કાર્યવાહી માટે છૂટોદોર આપ્યો છે.