શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે (4 જુલાઈ) એક ચુકાદો આપીને શાહી ઈદગાહ મસ્જિદને ‘વિવાદિત ઢાંચા’ તરીકે ઓળખાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી. જસ્ટિસ રામમનોહર નારાયણ મિશ્રાની બેન્ચે મૌખિક આદેશ આપતાં કહ્યું કે આ તબક્કે અરજી નકારી દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં કુલ 18 અરજીઓ દાખલ કરવાં આવી હતી, જે તમામને ક્લબ કરીને અલ્હાબાદ હાઇકોર્ટમાં મામલો ચલાવવામાં આવી રહ્યો છે. દરમ્યાન 2023માં એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંઘ મારફતે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં શાહી ઈદગાહને વિવાદિત ઢાંચો તરીકે ઓળખવાની અને કેસમાં આગળ પણ તમામ કાર્યવાહીમાં ઢાંચા તરીકે જ ઓળખવાની માંગ કરવામાં આવી હતી.
જોકે કોર્ટે હાલ આ અરજી ફગાવી દીધી છે. મામલો અલ્હાબાદ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. ડિસેમ્બર 2023માં હાઇકોર્ટે મસ્જિદના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાની માગ સ્વીકારી હતી. પરંતુ પછીથી સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો.