અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) તાજેતરમાં એક અરજી પર સુનાવણી કરતી વખતે માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા બાદ પોલીસ રક્ષણની માંગણી કરતા એક દંપતીની માંગ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, આવા દરેકને કોર્ટ સુરક્ષા આપી શકે નહીં, કોઈ જોખમ હોય તો વાત અલગ છે.
ભાગીને લગ્ન કરનાર દંપતીએ તેમના પરિવારના સભ્યો હિંસક વલણ અપનાવી શકે તેવા દાવા સાથે કોર્ટમાં સુરક્ષાની માંગણી કરી હતી. કેસ પર સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી અને એવું પ્રતિપાદન કર્યું કે દરેક આવા કેસમાં પોલીસ સુરક્ષા આપવી વ્યવહારુ કે શક્ય નથી.
કોર્ટે નોંધ્યું હતું કે, “ભારતીય બંધારણ હેઠળ વ્યક્તિને પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરવાનો મૂળભૂત અધિકાર છે, પરંતુ આ અધિકારનો ઉપયોગ સામાજિક અને પારિવારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ.”
આ ઉપરાંત કોર્ટે એમ પણ જણાવ્યું કે, “જો દરેક આવા કેસમાં પોલીસ સુરક્ષા આપવાની માંગણી સ્વીકારવામાં આવે તો તે વહીવટી તંત્ર પર અનુચિત બોજ ઉભો થશે અને પોલીસ સંસાધનોનો દુરુપયોગ થઈ શકે છે.”
કોર્ટે નોંધ્યું કે સુપ્રીમ કોર્ટે લતા સિંઘ વિ. UP સરકારના કેસમાં આપેલા ચુકાદાને ધ્યાનમાં લેતાં દંપતીને પોલીસ સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપવાની કોઈ જરૂર જણાતી નથી. સુપ્રીમ કોર્ટે એ કેસમાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર પોતાની મરજીથી ભાગીને લગ્ન કરી લેતા યુવાનોને રક્ષણ આપવું એ કોર્ટનું કામ નથી. એવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેનાથી એ સાબિત થઈ શકે કે બંનેના પરિવારમાંથી કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે. સાથે કહ્યું કે, જો પોલીસને કશુંક જણાય તો તેઓ પોતાની રીતે કાર્યવાહી કરશે.
કોર્ટે સ્પષ્ટતા કરી કે અમુક જેન્યુઇન કેસમાં કોર્ટ રક્ષણ પૂરું પાડી શકે છે, પણ કોઈ જોખમ ન હોય તેવા કેસમાં સુરક્ષા આપવાની કોઈ જરૂર નથી. ત્યારે દંપતીએ સમાજનો સામનો કરતાં અને એકબીજાને ટેકો આપતાં શીખવું જોઈએ.