Wednesday, May 14, 2025
More

    ‘બધી પાર્ટીના નેતાઓએ આતંકવાદ વિરુદ્ધ કેન્દ્રના કડક વલણનું કર્યું સમર્થન’: સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી

    પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વિવિધ બેઠકો યોજાઈ રહી છે. આ દરમિયાન 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક પછી કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) જણાવ્યું હતું કે સર્વપક્ષીય બેઠકમાં (All Party Leaders Meeting) તમામ નેતાઓએ સર્વસંમતિથી આતંકવાદ સામે કેન્દ્રના મજબૂત વલણને સમર્થન આપ્યું હતું.

    નોંધનીય છે કે ભારતે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા બાદ આ બેઠક યોજાઈ હતી. રિજિજુએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ આતંકવાદ સામેની લડાઈમાં ભવિષ્યમાં લેવાયેલા કોઈપણ પગલાને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર આતંકવાદ પ્રત્યે હંમેશા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવશે.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સભ્યો દ્વારા માંગવામાં આવેલી કેટલીક સ્પષ્ટતાઓનો અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. તમામ પક્ષોએ અપીલ કરી હતી કે સમગ્ર દેશે દુઃખના સમયમાં એક થવું જોઈએ.”

    આતંકવાદી હુમલા બાદ, કેન્દ્ર સરકારે અટારી ખાતે સંકલિત ચેક પોસ્ટ (ICP) બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે SAARC વિઝા મુક્તિ યોજના (SVES) સ્થગિત કરવી અને બંને બાજુના ઉચ્ચ કમિશનમાં અધિકારીઓની સંખ્યા ઘટાડવી વગેરે પગલાં લીધા હતા.