Friday, May 23, 2025
More

    લેફ્ટનન્ટ વિનય નરવાલને પત્નીને આપી ભાવુક વિદાય, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને CM રેખા ગુપ્તાએ આપી શ્રદ્ધાંજલિ: પહલગામથી દિલ્હી એરપોર્ટ ખાતે લવાયો પાર્થિવ દેહ

    22 એપ્રિલે આતંકવાદીઓએ પહલગામ ખાતે અંધાધૂધ ગોળીબાર (Pahalgam Terrorist Attack) કર્યો હતો જેમાં 28 લોકોના મોત થયા હતા. આ હુમલામાં નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલે (Lieutenant Vinay Narwal) પણ જીવ ગુમાવ્યો હતો. જેમના પાર્થિવ દેહને 23 એપ્રિલના રોજ દિલ્હી ખાતે લાવવામાં આવ્યો હતો. તેએમના પત્નીએ અહીં તેમને ભાવુક વિદાય આપી હતી. નૌસેનાના એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી (Admiral Dinesh. K Tripathi) અને દિલ્હીના CM રેખા ગુપ્તાએ (CM Rekha Gupta) તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી.

    લેફ્ટનન્ટ વિનયે માત્ર 7 દિવસ પહેલા જ ગુરુગ્રામની હિમાંશી નરવાલ સાથે લગ્ન કર્યા હતા. બંને 21 એપ્રિલે પોતાનું હનીમૂન ઉજવવા માટે પહેલગામ ગયા હતા. બીજા દિવસે, 22 એપ્રિલના રોજ, વિનયની હત્યા કરવામાં આવી હતી. તેમની પત્નીએ જ ખુલાસો કર્યો હતો કે આતંકીઓએ પહેલાં નામ પૂછ્યા અને પછી ગોળીબાર કર્યો હતો.

    દિલ્હીના CM અને નૌસેના એડમિરલ આપી શ્રદ્ધાંજલિ

    ત્યારે નૌસેનાના એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે લેફ્ટનન્ટ નરવાલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય નૌસેનાએ એક અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે, “એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને નૌસેનાના તમામ કર્મચારીઓ પહલગામમાં થયેલા આ નિંદનીય આતંકવાદી હુમલામાં લેફ્ટનન્ટ વિનય નરવાલના નિધનથી ગાઢ શોક અનુભવે છે. અમે તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

    આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. રેખા ગુપ્તાએ પણ શહીદ લેફ્ટનન્ટ નરવાલના પરિવાર પ્રત્યે ગહન શોક વ્યક્ત કર્યો અને તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું, “લેફ્ટનન્ટ વિનય નરવાલનું બલિદાન દેશ માટે અમૂલ્ય છે. અમે તેમના પરિવારની સાથે ઊભા છીએ અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.”