દિલ્હી વિધાનસભા ચૂંટણીને (Delhi Assembly Elections) લઈને હવે તૈયારીઓ તેજ થઈ રહી છે. તેવામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) ગઠબંધન (Alliance) કરીને ચૂંટણી લડી શકે છે, દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગઠબંધનની વાતચીતને લઈને બંને પાર્ટીઓ અંતિમ ચરણમાં છે. જોકે, આ દાવો કેજરીવાલે (Arvind Kejriwal) ફગાવી દીધો છે.
અરવિદ કેજરીવાલે કહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે (Alone) લડશે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની કોઈ સંભાવના નથી. તેમને પોતાના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી હતી.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
કેજરીવાલે X પર લખ્યું કે, “આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાતથી ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોઈ સંભાવના નથી.” જોકે, આ પહેલી વખત નથી કે, કેજરીવાલે ગઠબંધનની સંભાવનાને નકારી દીધી હોય. આ મહિનાની શરૂઆતમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પાર્ટીની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરવાની કોઈ યોજના નથી.
કેજરીવાલનું આ નિવેદન તે રિપોર્ટ્સ બાદ આવ્યું છે, જેમાં કહેવાયું હતું કે, કોંગ્રેસ અને AAP દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન માટે વાતચીતના અંતિમ ચરણમાં છે.