Friday, May 16, 2025
More

    દિલ્હીમાં ગેરકાયદે રહેતા 5,200 પાકિસ્તાનીઓનું સરનામું ‘હોસ્પિટલ’: આવ્યા હતા ઈલાજ કરવા…પણ હવે છે ગાયબ, એજન્સીઓ તેમને ઘરભેગા કરવા કરી રહી છે તપાસ

    દિલ્હીમાં (Delhi) હાલ લગભગ 5,200 પાકિસ્તાની નાગરિકો (Pakistani Citizens) હાજર હોવાનું સામે આવ્યું છે, જેમાંથી મોટાભાગના લોકોએ તબીબી સારવાર માટે જે હોસ્પિટલમાં આવ્યા હતા તે હોસ્પિટલના સરનામાં નોંધાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આ તમામ લોકોને તાત્કાલિક પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેમનો વિઝાનો સમયગાળો પૂરો થઈ ગયો છે.

    ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ આ 5,200 પાકિસ્તાની નાગરિકોની યાદી દિલ્હી પોલીસને સોંપી છે, જેમને હવે આ લોકોની વાપસીની જવાબદારી સોંપાઈ છે. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસના (FRRO) એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતભરમાં 60,000થી વધુ પાકિસ્તાની નાગરિકો હાજર છે. આમાંથી ઘણા લોકો તબીબી સારવાર માટે આવ્યા હતા, પરંતુ હવે તેમનો કોઈ પત્તો નથી.

    અહેવાલ અનુસાર, આ લોકોની હાજરી અને તેમના વિઝા ઓવરસ્ટેના મુદ્દે સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે. પહલગામ હુમલા બાદ સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દિલ્હી પોલીસને આ લોકોને શોધીને તેમની વાપસી નિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ તેમના ઠામઠીકાણાની તપાસ કરી રહી છે.