ઉત્તર પ્રદેશના બાગપતથી લગભગ ચારેક હજાર જૂના અવશેષો ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા દ્વારા પુષ્ટિ કરીને જણાવવામાં આવ્યું કે આ અવશેષ તામ્રપાષાણ કાળના છે.
આ અવશેષો બાગપતના તિલવાડા જિલ્લામાંથી મળી આવ્યા. જેમાં માટી-તાંબાનાં વાસણો, માળાના મણકા અને નકશીદાર વસ્તુઓ છે. લગભગ ચારેક મહિનાની મહેનત બાદ આ ચીજો મળી.
बागपत के तिलवाड़ा में 4000 साल पुरानी सभ्यता, ताम्रपाषाण युग की धरोहरें मिलीं। https://t.co/VaWLH4tVPq
— Archaeological Survey of India (@ASIGoI) April 18, 2025
જ્યાં આ ખોદકામ થયું તે ગામ હરિયાણાની સરહદ પર દિલ્હીથી લગભગ 85 કિલોમીટર દૂર સ્થિત છે. અહીં ખોદકામ ડિસેમ્બર 2024માં શરૂ થયું હતું. એપ્રિલ 2025 સુધી ચાલ્યું, જેમાં આ બધા અવશેષો મળી આવ્યા.
આ અવશેષો મેરઠ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં પુરાતત્વવિદો તેની ઉપર સંશોધન કરશે. ઇતિહાસકારોના મતે આ સ્થળે શવ દફનાવવામાં આવતાં હોવાં જોઈએ. જોકે અહીંથી કોઈ માનવ કંકાલ હજુ સુધી મળી આવ્યું નથી.
નોંધનીય છે કે બાગપત મહાભારતનાં એ પાંચ ગામ પૈકીનું એક માનવામાં આવે છે, જે પાંડવોએ વસાવ્યાં હતાં. બાકીનાં ચાર છે– સોનીપત, પાનીપત, તલપત અને ઈન્દ્રપ્રસ્થ. કહેવાય છે કે તીલવાડામાંથી પહેલાં પણ આવી ચીજો મળી આવી છે.