Friday, May 16, 2025
More

    મહાભારતનાં પાંચ ગામોમાં જેનો ઉલ્લેખ, ત્યાંથી મળી આવી 4 હજાર વર્ષ જૂની ચીજવસ્તુઓ: ASIને તામ્રપાષાણ સભ્યતાના અવશેષો મળ્યા

    ઉત્તર પ્રદેશના બાગપતથી લગભગ ચારેક હજાર જૂના અવશેષો ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા દ્વારા પુષ્ટિ કરીને જણાવવામાં આવ્યું કે આ અવશેષ તામ્રપાષાણ કાળના છે. 

    આ અવશેષો બાગપતના તિલવાડા જિલ્લામાંથી મળી આવ્યા. જેમાં માટી-તાંબાનાં વાસણો, માળાના મણકા અને નકશીદાર વસ્તુઓ છે. લગભગ ચારેક મહિનાની મહેનત બાદ આ ચીજો મળી. 

    જ્યાં આ ખોદકામ થયું તે ગામ હરિયાણાની સરહદ પર દિલ્હીથી લગભગ 85 કિલોમીટર દૂર સ્થિત છે. અહીં ખોદકામ ડિસેમ્બર 2024માં શરૂ થયું હતું. એપ્રિલ 2025 સુધી ચાલ્યું, જેમાં આ બધા અવશેષો મળી આવ્યા. 

    આ અવશેષો મેરઠ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં પુરાતત્વવિદો તેની ઉપર સંશોધન કરશે. ઇતિહાસકારોના મતે આ સ્થળે શવ દફનાવવામાં આવતાં હોવાં જોઈએ. જોકે અહીંથી કોઈ માનવ કંકાલ હજુ સુધી મળી આવ્યું નથી. 

    નોંધનીય છે કે બાગપત મહાભારતનાં એ પાંચ ગામ પૈકીનું એક માનવામાં આવે છે, જે પાંડવોએ વસાવ્યાં હતાં. બાકીનાં ચાર છે– સોનીપત, પાનીપત, તલપત અને ઈન્દ્રપ્રસ્થ. કહેવાય છે કે તીલવાડામાંથી પહેલાં પણ આવી ચીજો મળી આવી છે.