Friday, May 23, 2025
More

    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 3નાં મોત: ભૂસ્ખલ બાદ અનેક વાહનો-મકાનો કાટમાળ નીચે દટાયાં , 100થી વધુ લોકોનું રેસ્ક્યુ

    જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. રામબનના ધર્મકુંડમાં રવિવારે (20 એપ્રિલ) સવારે અચાનક પૂર આવવાથી ભારે તબાહી મચી છે. અચાનક પાણી ફરી વળ્યા બાદ વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. તે સિવાય રેસ્ક્યુ ઑપરેશન પણ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

    જાણવા મળી રહ્યું છે કે, આ રેસ્ક્યુ ઑપરેશનમાં હાલ સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ઘણા લોકો પોતાના ઘરોમાંથી જ ફસાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભારે વરસાદના કારણે નાળામાં પાણી વધી ગયું હતું અને તેના કારણે પૂર આવ્યું આવ્યું છે. આ પાણી ચેનાબ પુલ પાસે ધર્મકુંડ ગામમાં ઘૂસી ગયું હતું.

    માહિતી અનુસાર, પાણી ઘૂસવાથી 100થી વધુ ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે અને 25થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે. વધુમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પણ ભૂસ્ખલના કારણે અવરોધાયો છે. ભાજપ નેતા જિતેન્દ્ર સિંઘે જણાવ્યું છે કે, આ ઘટનાઓમાં ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.