Sunday, May 18, 2025
More

    જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 સુરક્ષા જવાનો ઘાયલ: પહલગામ હુમલાના સર્ચ ઓપરેશન દરમિયાન બની ઘટના

    જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) બાંદીપોરામાં (Bandipora) 25 એપ્રિલની વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણમાં (Encounter) બે સુરક્ષા જવાનો ઘાયલ (Security Man Injured) થયા છે. આ ઘટના કુલનાર બાઝીપોરા વિસ્તારમાં બની, જ્યાં સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળી હતી.

    અહેવાલ અનુસાર, સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે બે જવાનોને ગંભીર ઈજા થઈ. ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

    આ ઘટના તાજેતરમાં પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે બની છે, જેમાં હિંદુ પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. સુરક્ષા દળોએ બાંદીપોરા અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર કર્યું છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટના અંગે વધુ માહિતી આપવાનું ટાળ્યું છે, પરંતુ ઓપરેશન હજુ ચાલુ હોવાનું જણાવ્યું છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.