Friday, April 19, 2024
More
    હોમપેજગુજરાતફેક્ટ ચેક: સુરતના આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર કરેલ...

    ફેક્ટ ચેક: સુરતના આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર કરેલ દાવાની પોલ ખોલ, જાગૃત નાગરિકની મહેનતને પોતાના નામે ચડાવવાનો પ્રયાસ

    ઑપઇન્ડિયા દ્વારા કરાયેલ તપાસમાં સુરતના વોર્ડ નં.2 ના કોર્પોરેટર રાજેશ મોરડિયાનો એ દાવો કે જેમાં તેઓ કહે છે કે વરાછા વિસ્તારમાં તેમણે ખરાબ થયેલા રોપાઓ ફરીથી લગાવડાવ્યા એ ખોટો સાબિત થાય છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ બીજાએ કરેલ કામોનો જશ ખાટવાની તેમની જૂની આદત માટે ખૂબ કુખ્યાત છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓને પણ આ રોગ લાગુ પડેલો જોઈ શકાય છે. વિષય છે સુરતના એક આપ કોર્પોરેટર દ્વારા થયેલ એક જાગૃત નાગરિકના કામની ક્રેડિટચોરી કરવાના પ્રયત્નનો.

    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા આ વર્ષની શરૂઆતમાં સુરતના મોટા વરાછાના VIP ચોકથી ચેક પોસ્ટ સુંધીના રોડનું કામ પત્યા બાદ રોડની વચ્ચેના ડિવાઇડરના ભાગમાં દક્ષિણ ભારતમાંથી માંગવાયેલ પાલ્મના વૃક્ષના રોપાઓ વાવવામાં આવ્યા હતા. પરંતુ માવજતના અભાવે થોડા જ સમયમાં આમાંથી આશરે 80 જેટલા રોપાઓ સૂકાઈને નષ્ટ થઈ ગયા હતા.

    સુરતના વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડીયાએ 7 જૂને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર એક પોસ્ટ મૂકી હતી કે, “મોટાવરાછાનાં VIP ચોકથી ચેકપોસ્ટ સુધીના રોડને સુશોભિત કરવા માટે દક્ષિણ ભારતથી મંગાવીને એક ખાસ પ્રકારના મૂલ્યવાન પામ વૃક્ષો આપણે રોપાવેલાં. આ ખાસ પ્રકારનાં પામ વૃક્ષોની ખાસિયત પ્રમાણે રોપ્યા પછી એક વર્ષે જ ખબર પડે કે તે ઊછર્યા કે નહી. આથી આ વૃક્ષોને આપણે બે વર્ષની ગેરંટી સાથે રોપાવેલા. આજે એક વર્ષ પછી રોપેલા કુલ વૃક્ષોમાંથી 80 વૃક્ષો નવા રોપી દીધા છે. મારા વિસ્તારની પર્યાવરણની સુંદરતા, સ્વચ્છતા, સગવડતા માટે હું પ્રતિબદ્ધ છું.”

    - Advertisement -
    આપ કોર્પોરેટરની ફેસબુક પોસ્ટ જેમાં તેઓ સાફ સાફ કહેતા વંચાય છે કે ‘આપણે 80 નવા છોડ રોપી દીધા” (ફોટો: ફેસબુક પોસ્ટનો સ્ક્રિનશોટ)

    એટ્લે કે ટૂંકમાં આપ કોર્પોરેટર એમ કહેવા માંગતા હતા કે આ જે રોપાઓ નષ્ટ પામ્યા હતા તેના બદલે નવા રોપાઓ લગાવવાનું કામ તેમણે કરાવ્યુ હતું. પરંતુ તેમની આ જ પોસ્ટના કમેંટ સેક્શનમાં એક સ્થાનિક નાગરિકની કમેંટ જોવા મળી જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ નવા રોપાઓ તેના દ્વારા SMCમાં કરવામાં આવેલ ફરિયાદ અને તેની પાછળ લેવામાં આવેલ અસંખ્ય ફોલોઅપ બાદ વાવવામાં આવ્યા હતા. જે સાથે તે યુઝરે પોતાની ફરિયાદને લગતા પુરાવા પણ કમેંટમાં જોડ્યા હતા. પરંતુ બાદમાં એક જાગૃત નાગરિકના કામની ક્રેડિટચોરી કરવાના પ્રયત્નનો કરનાર આપ કોર્પોરેટરે તે નાગરિકની કમેંટ જ ડિલીટ કરી દીધી હતી.

    ઑપઇન્ડિયાની ટીમે આ સમગ્ર મામલાની સત્યતા તપાસવા તે ફેસબુક યુઝરનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કરતાં અમારી વાત આ વિષયમાં ફરિયાદ કરનાર ગૌરવભાઈ સાથે થઈ. તેમણે અમને આખો મામલો શરૂઆતથી જુદા જુદા પુરાવાઓ સાથે સમજાવો હતો.

    ગૌરવ ભાઈ દ્વારા આ વિષયમાં 26 એપ્રિલે કરાયેલ ફરિયાદ (ફોટો: ગૌરવ)

    ઑપઇન્ડિયા સાથેની વાતમાં ગૌરવે જણાવ્યુ કે, “SMC દ્વારા નવા રોડની કામ થયા બાદ આ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. પરંતુ પૂરતી માવજાતને અભાવે તેમાથી ઘણા વૃક્ષો સૂકાઈને નાશ પામ્યા હતા. આપી મે SMCની વેબસાઇટ પર 26 એપ્રિલ 2022ના દિવસે રોડ અને ફૂટપાથ વિષય અંતર્ગત સુકાયેલા વૃક્ષોના ફોટા સાથે ફરિયાદ નોંધાવી હતી કે ઝડપથી આ વૃક્ષોને દૂર કરી નવા વૃક્ષો રોપવામાં આવે અને તેની પૂરતી કાળજી લેવામાં આવે.”

    “ફરિયાદ કર્યા બાદ મે વારંવાર તેનું ફોલોઅપ પણ લીધું હતું. SMC દ્વારા આ ફરિયાદના નિરાકરણની જવાબદારી જે જુનિયર એન્જિનિયરને સોંપવામાં આવી હતી તેવા એચ પી મોદી સાથે પણ હું સતત સંપર્કમાં હતો. ઉપરાંત આ ફરિયાદ માટે SMC દ્વારા સમયે સમયે શું શું પગલાં લેવાઈ રહ્યા હતા તેની માહિતી પણ મને એસએમએસ દ્વારા મળ્યા કરતી હતી.” ગૌરવે આગળ જણાવ્યુ.

    16 મે ના દિવસે છેલ્લી અપડેટ મળી કે જલ્દી જ નવા રોપાઓ કોન્ટ્રાકટરના ખર્ચે લગાવી દેવામાં આવશે. (ફોટો: ગૌરવ)

    આખરે 16 મે 2022ના રોજ ગૌરવને જણાવવામાં આવ્યું કે આ રોપાઓ કોન્ટ્રાક્ટર દ્વારા 2 વર્ષની ગેરંટી સાથે રોપવામાં આવ્યા હતા અને ગેરંટી પિરિયડની અંદર આ રોપાઓ નાશ પામતા તે જ કોન્ટ્રાકટર વિનામુલ્યે તે રોપાઓના સ્થાને નવા રોપાઓ લગાવી આપશે. પરંતુ આ રોપાઓ ખાસ દક્ષિણ ભારતથી મંગાવવામાં આવતા હોવાથી અઠવાડીયા દશ દિવસમાં તેમની ફ્રિયાદનું નિરાકરણ આવી જશે. અને તે જ પ્રમાણે જૂન મહિનાની શરૂઆતમાં SMC દ્વારા તે જ સ્થાને નવા રોપાઓ સ્થાપી દેવામાં આવ્યા હતા.

    ગૌરવ ભાઈએ ઑપઇન્ડિયાને એ પણ જણાવ્યુ હતું કે આપ કોર્પોરેટરની આ પોસ્ટ જોયા બાદ તેઓએ એ કોર્પોરેટરને કોલ પણ કર્યો હતો કે બીજાના કામનો જશ લઈને આવો દુષ્પ્રાચાર ના કરવો, પરંતુ આપ નેતાએ તેમની એક ના સાંભળી અને યોગ્ય જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો હતો.

    પોતાના વિસ્તારમાં નવા રોપાઓ જોઈને એક જાગૃત નાગરિકના કામની ક્રેડિટચોરી કરવાના ઇરાદાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ખોટી પોસ્ટ ફરતી કરી હતી.

    આપ કોર્પોરેટરે જશ ખાંટવાની લાલચે પોતાની પોસ્ટ 4 વાર એડિટ કરી હતી. (ફોટો: ફેસબુક પોસ્ટના SS)

    આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ફેસબુક પોસ્ટની પણ ઑપઇન્ડિયા દ્વારા વિગતે તપાસ કરતાં સામે આવ્યું કે તેમણે એક જ દિવસમાં આ પોસ્ટને 4થી વધુ વાર એડિટ કરી હતી. સૌ પહેલા એમણે માત્ર એવી પોસ્ટ મૂકી હતી કે વિસ્તારમાં જે રોપાઓ નષ્ટ પામ્યા હતા તેના સ્થાને નવા રોપાઓ લાગી ગયા છે. પરંતુ બાદમાં બીજાના કામનો જશ ખાંટીને પોતાની વાહવાહી કરવાનો મોકો દેખાતા તેમણે પોસ્ટ 4 વાર એડિટ કરી અને છેલ્લે એમ લખ્યું કે તેમણે જ આ છોડવાઓ લગાવડાવ્યા છે.

    આ પહેલી વાર નથી કે કોઈ આપ નેતા દ્વારા બીજા દ્વારા કરાયેલ કામની ક્રેડિટ ચોરી કરવાનો પ્રયત્ન થયો હોય. આ પહેલા પણ ભલે એ UNICEFનો વિડીયો ચોરી કરવાનો મામલો હોય કે, પંજાબમાં ઉત્તર રેલ્વે દ્વારા બનાવાયેલ અંડરબ્રિજને પોતાનું કામ બતાવવાનો મામલો હોય કે પછી એના જેવા અનેક બીજા કિસ્સાઓ હોય જ્યાં આમ આદમી પાર્ટી બજ પક્ષોના અથવા કોઈ જાગૃત નાગરિકના કામની ક્રેડિટચોરી કરતાં અંગે હાથે પકડાઈ હોય.

    નોંધનીય છે કે પાછલા જ અઠવાડિયે સુરતના અન્ય એક આપ કોર્પોરેટર પણ વિવાદમાં સપડાયા હતા. જેમાં સુરતમાં ખોટી જાણકારી લઈને એક સરકારી શાળામાં હોબાળો કરવા જતાં આપના કોર્પોરેટર મનીષા કૂકડિયાને વાલીઓએ આડે હાથે લેતા કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં