Thursday, March 28, 2024
More
    હોમપેજમંતવ્યતપાસનો રેલો પહોંચતા રાહુલ ગાંધીને હિંદુ-મુસ્લિમ-દલિતો યાદ આવ્યા: ઇડીની કાર્યવાહીને 'લોકતંત્ર પર...

    તપાસનો રેલો પહોંચતા રાહુલ ગાંધીને હિંદુ-મુસ્લિમ-દલિતો યાદ આવ્યા: ઇડીની કાર્યવાહીને ‘લોકતંત્ર પર હુમલો’ ગણાવી, ગાંધી પરિવારના નામે સહાનુભૂતિ ઉઘરાવવાનો પ્રયાસ

    પોતાના પરિવારને કાયદાથી પણ ઉપર સમજતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ઇડીની આ કાર્યવાહીને ગાંધી પરિવાર પર હુમલો ગણાવ્યો હતો.

    - Advertisement -

    નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસનો રેલો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સુધી આવતાં જ કોંગ્રેસ પાર્ટી ફફડી ઉઠી છે. ખાસ કરીને તપાસ કરતી એજન્સી ઇડીએ હેરાલ્ડ હાઉસ ખાતે આવેલી ‘યંગ ઇન્ડિયન’ કંપની સીલ કરી દીધા બાદ કોંગ્રેસીઓ ભુરાયા થયા છે. દરમ્યાન, આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમની વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને ‘લોકશાહીનું હનન’ ગણાવીને વિક્ટિમ કાર્ડ ખેલવાના પ્રયત્નો કર્યા હતા અને હિંદુ-મુસ્લિમ, દલિત વગેરે મુદ્દા લઇ આવ્યા હતા. 

    પોતાના પરિવારને કાયદાથી પણ ઉપર સમજતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ઇડીની આ કાર્યવાહીને ગાંધી પરિવાર પર હુમલો ગણાવ્યો હતો. સાથે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસ કરતાં કહ્યું હતું કે, તેમના પરિવારે ‘બલિદાન’ આપ્યું છે અને તેઓ વર્ષોથી ‘લોકતંત્ર’ અને ‘સાંપ્રદાયિક શાંતિ’ માટે લડતા આવ્યા છે. 

    નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપોનો સામનો કરતા રાહુલ ગાંધીએ કહ્યું, મારા પરિવારે તેમના જીવન માટે બલિદાન આપ્યું હતું. આ અમારી જવાબદારી છે કારણ કે અમે આ વિચારધારા માટે લડ્યા છીએ. હિંદુ-મુસ્લિમોને એકબીજા સાથે લડાવવામાં આવે છે, દલિતો મૃત્યુ પામે છે, મહિલાઓ પર હુમલા થાય છે ત્યારે દુઃખ થાય છે અને તેથી અમે લડીએ છીએ. રાહુલે દાવો કર્યો કે આ એક પરિવાર નથી પરંતુ વિચારધારા છે.

    - Advertisement -

    કોઈ એક નેતા માત્ર એક એજન્સીએ કોઈ કેસમાં સમન્સ પાઠવાને લોકતંત્ર પર હુમલો ગણાવે તે વાત સામાન્ય લોકોના મગજમાં ઉતરતી નથી. ઇડી સમક્ષ હાજર થઈને (જો પોતે સાચા હોય તો) તમામ સવાલોના જવાબો આપીને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની જગ્યાએ રાહુલ ગાંધી આ કાર્યવાહીને ‘લોકતંત્ર પર હુમલો’ ગણાવીને હિંદુ-મુસ્લિમ, દલિતો-મહિલાઓ વગેરે જેવા મુદ્દાઓ પરાણે ઘસડી લાવીને કે ગાંધી પરિવારનો ઉલ્લેખ કરીને સહાનુભૂતિ ઉઘરાવીને એમ સાબિત કરવા મથી રહ્યા છે કે તેઓ અને તેમનો પરિવાર કાયદાથી પણ ઉપર છે! 

    વધુમાં રાહુલ ગાંધી હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનો મુદ્દો વચ્ચે લાવીને તેઓ અને તેમનો પરિવાર ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ માટે સતત લડતા હોવાનો પણ દાવો કરે છે. જોકે, જે પાર્ટી દાયકાઓ સુધી સત્તામાં રહી હોય અને જેના કાર્યકાળ દરમિયાન દેશે અનેક કોમી રમખાણો જોયાં હોય તેના નેતા ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ માટે લડવાની વાત કરે ત્યારે એ બહુ હાસ્યાસ્પદ લાગે છે. 

    નેશનલ હેરાલ્ડ ભારતના સૌથી ચર્ચાસ્પદ કેસો પૈકીનો એક છે. આ એક એવો કેસ છે જેમાં ગાંધી પરિવારના બે સભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીધી રીતે આરોપી છે. આ બંને નેતાઓ અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે યંગ ઇન્ડિયન નામની એક કંપનીના માલિક છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાગીદારી 38-38 ટકા છે અને બાકીનો હિસ્સો કોંગ્રેસ નેતા મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝ પાસે છે. કંપની ઉપર અખબાર નેશનલ હેરાલ્ડની કરોડોની સંપત્તિની હેરફેરનો આરોપ લાગ્યો છે.

    આમ તો આ કેસમાં સોનિયા-રાહુલને બિનશરતી જામીન મળ્યા છે. પરંતુ કેસ બંધ થયો ન હતો. જે બાદ આ જૂન મહિનામાં તપાસ આ બંને સુધી પહોંચી જતાં કોંગ્રેસ હાંફળીફાંફળી બની ગઈ છે. બંને નેતાઓની પૂછપરછ દરમિયાન પણ કોંગ્રેસના નેતાઓએ દેશભરમાં ધીંગાણું કર્યું હતું અને હિંસક પ્રદર્શનો કર્યાં હતાં. હવે ઇડી જેમ-જેમ કેસમાં આગળ વધી રહી છે તેમ કોંગ્રેસની છટપટાહટ વધી રહી છે. 

    દરમિયાન, આજે કોંગ્રેસે મોંઘવારી અને GST વિરુદ્ધ પણ પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ કાળા વસ્ત્રો પહેરીને સંસદ ભવન ખાતે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે કલમ 144ના ઉલ્લંઘન બદલ રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી લીધી હતી. 

    પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોલીસ બેરિકેડ પર ચડી ગયાં હતાં. જે બાદ તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. પ્રિયંકા ગાંધીની એક તસ્વીર પણ વાયરલ થઇ છે, જેમાં તેઓ પોલીસકર્મીનું કાંડુ પકડીને તેને આમળતાં જોવા મળ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં